ગાયો રાખતા ખેડૂતો માટે સારા સમાચારઃ હવે ખેડૂતો ગૌમૂત્રને વેચીને મહિને આટલી આવક મેળવી શકશે, રાજ્યના ભાભરમાં સ્થપાઈ વિશ્વની પ્રથમ ગૌમૂત્ર ડેરી
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan15062024_125719_Cow urine.webp)
- 15 Jun, 2024
હવે ગાયો રાખનાર ખેડૂત તેની એક ગાય દિઠ મહિને 1500 રૂપિયા જેટલી કમાણી માત્ર ગૌ મુત્ર વેચીને કરી શકશે. આમ તેને ગાયના દૂધની કમાણી તો થશે જ સાથે ગૌ મુત્રની કમાણી પણ થશે. કારણ કે ગૌ મુત્રની ખરીદી કરતી વિશ્વની સૌ પ્રથમ ડેરી ગુજરાતના બનાસકાંઠામાં આવેલા ભાભરમાં સ્થપાઇ છે. આ ડેરીએ ખેડૂતો અને પશુપાલકો પાસેથી લિટર દિઠ રૂપિયા 5ના ભાવે ગૌ મુત્ર ખરીદવાનું શરૂ પણ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે ગૌમૂત્ર કેન્સર સહિતના કેટલાક રોગો માટે રામબાણ સમાન હોવાનું પણ કહેવાય છે. ત્યારે લોકો આ ડેરીનો સંપર્ક કરીને ગૌમૂત્રની ખરીદી પણ કરી શકશે.
ડેરી દ્વારા દેશી ગાયનું ગૌ મુત્ર ખરીદવામાં આવી રહ્યુ છે.. એક ગાય રોજના 16 થી 17 લિટર મુત્ર આપતી હોય છે.. ખેડૂત માટે તમામ ગૌમુત્ર એકત્ર કરવું તો બહુ મુશ્કેલ છે.. પરંતુ થોડુંક ધ્યાન આપીને તે ઓછામાં ઓછું 10 લિટર ગૌ મુત્ર તો એકઠુ કરી જ શકે છે. બાદમાં ડેરીવાળા આવીને આ ગૌ મુત્ર પ્રતિ લિટર રૂપિયા 5ના ભાવે લઇ જાય છે. આમ જે ખેડૂત પાસે ઓછામાં ઓછી એક ગાય પણ હોય તો તે ગૌ મુત્ર વેચીને મહિને 1500 રૂપિયા કમાઇ શકે છે.
હાલ ભાભરના લગભગ 700 જેટલા પશુપાલકો ડેરીને ગૌમુત્ર પુરુ પાડે છે. આનાથી ખેડૂતોને મોટો ફાયદો એ થઇ રહ્યો છે કે તેમને ગાયોનો ઉછેર કરવો પરવડી રહ્યો છે. ગૌમુત્રનો ઉપયોગ જંતુનાશક દવાઓ બનાવવા માટે થતો હોય છે.. ગૌ મુત્રની સાથે દરિયાઇ શેવાળની મદદથી જમીનને પોચી બનાવવાની દવા પણ બનાવવામાં આવે છે. આમ જમીનને તેનું પોચાપણુ પાછુ મળે છે.. બીજ અંકુરિત થયા પછી તેના પર ગૌ મુત્રથી બનેલી દવાઓનો છંટકાવ કરવાથી ઉપજમાં વધારો થાય છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાયોટેક્નૉલૉજી સાયન્ટિસ્ટની એક ટીમ દ્વારા દાવો કરાયો હતો કે ગૌમૂત્ર થકી કૅન્સરના કોષોને મારવામાં તેમને સફળતા મળી છે. જૂનાગઢ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રદ્ધા ભટ્ટે રિસર્ચ ફૅલો કવિતા જોશી તથા રુકમસિંહ તોમર સાથે મળીને સંબંધિત દાવો કર્યો હતો. ટીમે ગૌમૂત્ર થકી મોં, ગર્ભાશય, ફેફસાં, કિડની કે સ્તનનું કેન્સર મટાડવાનો પણ દાવો કર્યો છે. શ્રદ્ધા ભટ્ટે એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે 'ગાય થકી રોગો દૂર થતા હોવાની હિંદુ ધર્મની માન્યતાને વૈજ્ઞાનિક આધાર પૂરો પાડવા માટે' તેમણે આ સંશોધન હાથ ધર્યું હતું.